સ્વાતિ માલીવાલ સાથે મારામારી કરવાનો મામલો: આરોપી વિભવ કુમારને દિલ્હીની તીસ હજારી કોર્ટે આપ્યો મોટો ઝટકો, જામીન અરજી ફગાવવામાં આવી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27052024_130043_Vibhavkumar 222.webp)
- 27 May, 2024
સ્વાતિ માલીવાલની સાથે કથિત મારામારીના કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારની જામીન અરજીને ફગાવી દેવામાં આવી છે. તેમણે તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ એડિશનલ સેશન જજ સુશીલ અનુજ ત્યાગીએ તેમને રાહત આપવાથી ઈન્કાર કર્યો હતો.
વિભવ કુમાર પર 13 મેના રોજ દિલ્હીના મુખ્યમંત્રી આવાસ ખાતે સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાનો આરોપ છે. દિલ્હીની એક કોર્ટ દ્નારા તેમની આગોતરા જામીન અરજી ફગાવવામાં આવ્યા બાદ દિલ્હી પોલીસે તેમની ધરપકડ કરી હતી.
કોર્ટના એક આદેશ પછી તેમને 24 મેથી ચાર દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. તેઓ 28 મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. દિલ્હી સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમારને આ પહેલા પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
સ્વાતિ માલીવાલના દાવા મુજબ, 13 મેના રોજ વિભવ કુમારે તેમની પર હુમલો કર્યો હતો અને તેણે કહ્યું કે તે પિરિયડમાં છે, તેમ છતાં તેઓ અટક્યા નહોતા. હુમલા પછીથી સ્વાતિ માલિવાલે કહ્યું હતું કે તેમને ચાલવામાં મુશ્કેલી થઈ રહી છે.
આપના રાજ્યસભા સાંસદ માલીવાલના દાવા મુજબ સીએમ આવાસમાં વિભવ કુમાર તેમની તરફ બુમો પાડતા અવ્યા હતા, ધમકી આપી અને તેમને કથિત રીતે ગાળો પણ આપી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિભવે ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો, તેમને ઘસેડ્યા અને સેન્ટર ટેબલ પર તેમનું માથું પછાડ્યું હતું.
દિલ્હી પોલીસે તેમના રિમાન્ડ રિપોર્ટમાં કહ્યું કે આ મારપીટનો મામલો એક ગંભીર મામલો છે, જ્યાં ક્રૂર રૂપથી કરવામાં આવેલો હુમલો ઘાતક સાબિત થઈ શક્યો હોત. પોલીસે એવો પણ આરોપ લગાવ્યો કે કુમાર તપાસમાં સહયોગ કરી રહ્યાં નથી.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આ એક ગંભીર મામલો છે, જ્યાં એક સાર્વજનિક હસ્તી, સંસદ સભ્ય પર ખરાબ રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જે ઘાતક સાબિત થયો હોત. સવાલો છતાં, આરોપીએ તપાસમાં સહયોગ કર્યો નથી અને જવાબ આપવામાં આનાકાની કરી છે.